માણસ માટે જીવનમાં બે પ્રકારની ઘટનાઓ અવિસ્મરણીય હોય છે, એક છે પ્રેમ અને બીજો પ્રવાસ. પ્રેમ અને પ્રવાસની દરેક ક્ષણોને આપણે સ્મૃતિમાં સાચવી લેતા હોઈએ છીએ. માટે જ આપણને પ્રેમકથામાં ખૂબ રસ પડતો હોય છે અને એટલો જ રસ પડે છે પ્રવાસ વર્ણનમાં. જો તમને એવી વાર્તા વાંચવા મળે જેમાં પ્રેમ અને પ્રવાસ બંનેનો રોમાંચ ભળેલો હોય?
જવલ્લે જ અજમાવાયેલ આ પ્રયોગ મેં કર્યો છે ‘પારેવા – પરિક્રમા, પ્રવાસ, પ્રેમકથા’માં. બે યુવાન હૈયાં નર્મદા નદીની સાક્ષીએ પ્રેમમાં પડે છે. એ જ નર્મદાના પ્રવાહની જેમ તેમના જીવનમાં પણ ઊથલપાથલ થતી રહે છે. પણ શું તે નર્મદાના સાંનિધ્યમાં પોતાનો પ્રેમ પામે છે?
નર્મદા જ કેમ? નર્મદા વિશ્વની એકમાત્ર નદી છે, જેની પરિક્રમા કરવામાં આવે છે. એટલે કે તેના ઉદ્ગમથી લઈ સંગમ સુધીના અંતરની ફરતે ફરવામાં આવે છે. પ્રેમમાં પડવું એ પણ એક પરિક્રમા જ તો છે. ગમતીલા વ્યક્તિનો સતત સાથ ચાહવો, તેની ઉપાસના કરવી, તેને નજર સમક્ષ રાખવી, સ્મરણોમાં સાચવી લેવી. આ પરિક્રમામાં પણ ચાહત, વિશ્વાસ, બંધન જેવા પડાવો આવે છે અને બે પરિક્રમા સાથે ચાલે છે. એક બાજુ પ્રેમના સૌંદર્યનું રસપાન છે તો બીજી બાજુ નર્મદાના સૌંદર્યનું ગાન છે.
પ્રેમ શું છે? બે યુવાન હૈયાંઓ એકબીજાને ચાહવા લાગે અને જીવનભરનો સાથ પામવાનાં સ્વપ્નો જોવા લાગે ત્યારે સ્વાભાવિકપણે તેમને પહેલો પ્રશ્ન આ જ થાય કે પ્રેમ શું છે? ઘણાં હૈયાં આનો જવાબ શોધવામાં જ રચ્યાંપચ્યાં રહી જાય છે અને કોઈનો પ્રેમ પામી શકતાં નથી; તો ઘણાં હૈયાં આવા સવાલોની પરવા જ નથી કરતાં, કારણ કે તેમનું જીવન જ પ્રેમની વ્યાખ્યા હોય છે. આવાં જ અલગ-અલગ ઉંમરનાં, પ્રેમ પામેલાં, પ્રેમ ગુમાવેલાં, પ્રેમ માટે તરસતાં હૈયાંઓ તમને જણાવશે કે પ્રેમ શું છે. આપણી સંસ્કૃતિની દૃષ્ટિએ જોઈએ તો પ્રેમ એક સામાજિક બંધન છે. તેને સર્વસ્વીકૃત થવા, સન્માન પામવા, લગ્નના બંધનમાં બંધાવું જ પડે છે. આવું કેમ? એનો જવાબ છે આપણા પૂર્વજોએ રચેલાં શાસ્ત્રોમાં સમાયેલા, લગ્નનાં સાત વચનોમાં. શું એવું તો નથી ને કે લગ્નના સાત વચનોનો ખરો અર્થ જાણી એને જીવનમાં ઉતારનાર જોડું સાચો પ્રેમ પામે છે? તેનો જવાબ જાણવા તો તમારે રેવંત અને વામાની પ્રેમકહાણી વાંચવી જ રહી!