કુંતી... શું પાત્ર લેખકે ઉભું કર્યુ છે...!! અફલાતુન..!! એક વ્યક્તિ જે એક ઝાટકે તેનું સર્વસ્વ ગુમાવી બેઠી છે..!! પણ સમયના ઘા ને પણ જીરવી સતત એક જ આશા પર જીવ્યે રાખે છે..!! વાર્તા વાંચવાની શરુઆત કરીએ ત્યારે વાર્તાના અંતનો અંદાજો તો આવી જ જાય પણ જે સ્પર્શી જાય એવી વાત છે એ તેની સફર.. લેખકે જે વર્ણનો કર્યા છે, અને તેમની વાર્તા કહેવાની ઢબ, વાચકને વાર્તાની સાથે લઈ જાય છે..!! અહીં માત્ર વાત કુંતીની નથી પણ તેના આજુબાજુંના પાત્રોના જીવનની ઘટમાળ પણ લેખકે ખુબજ સરસ રિતે રજું કરી છે..!! હિંમતનું પાત્ર મારા ખ્યાલથી નવલકથાનું સૌથી શ્રેષ્ઠ પાત્ર છે, હું ઘણી વખત તેમા મારા ભુતકાળની છબી પણ જોતો હતો.
લાગણીથી ભરપુર આ નલકથાએ મને ઘણી વખત રડાવ્યો છે અને ઘણી વખત હસાવ્યો પણ અને કદાચ આ લેખકની એક ખુબી છે કે તે પોતે રચેલી દુનીયામાં વાચકને હાથ પકડીને લઈ જાય છે અને પછી તેને એ દુનીયાને માણવા છુટ્ટો મુકી દે છે અને જ્યારે એ વ્યક્તિ એ વાર્તાની દુનીયાની સફરેથી પાછો આવે ત્યારે તેનામાં કંઇક બદલાયું અથવા ઉમેરાયું હોય તેવો ભાવ પેદા થાય છે..!!
આ કુંતી પણ એ જ કક્ષાની નવલકથા છે, સતત આશા રાખવી અને સારા ભવિષ્યની આશા પર વર્તમાનને પણ સુધારવું કદાચ એ જ આ નવલકથાનો સાર છે...!! વધુમાં આ વાર્તાએ મને એ ભુલો પણ બતાવી જે મે મારી નવલકથામાં કરેલી છે જે કદાચ મને કોઇ સલાહ આપત તો ના સમજાત પણ તે એક મહેસુસ કરવાની વાત છે..!! તો રજનીકુમાર પંડ્યા તમારો ખુબ ખુબ આભાર મારા જીવનમાં કાંઇક ઉમેરો કરવા માટે..!!
'કુંતી' - એક માતાનો પુત્ર માટેનો વલવલાટ સાહિત્ય અકાદમીના પારિતોષિક દ્વારા સન્માનિત આ પુસ્તકનું શીર્ષક જ એની નાયિકાનું નામ છે. એક એવી માતા જે પોતાના પહેલા ખોળાના પુત્ર માટે ટળવળે છે. એ પુત્ર જે એની મરજી વગર દત્તક દેવાઈ ગયો છે. નાયિકાનું પાત્ર તો કોઈ પણ નવલકથામાં સબળ હોવાનું જ. પણ દરેક કથામાં ફક્ત નાયક કે નાયિકા નથી હોતા, એમની આસપાસનો સમાજ પણ હોય છે. બહુ કુશળતાથી લેખકે વિવિધ પાત્રો દ્વારા માનવ સ્વભાવની વિવિધ લાક્ષણિકતાઓનો પરિચય કરાવ્યો છે. પછી એ નઠારો મણિભદ્ર હોય, સાત્વિક હિંમત હોય, કઠોર સરલાબહેન હોય કે પછી અતૃપ્ત સૂરજમલ શેઠ હોય. કુંતીની આસપાસના એ પાત્રોમાં મને સૌથી વધુ ગમતું પાત્ર છે હરિરાજ સ્વામીનું ! પાત્રોની વિવિધ લાક્ષણિકતાઓ પ્રથમ હરિરાજ સ્વામીના હૃદય પર ઝીલાય છે અને પછી પરાવર્તિત થઈને કુંતી સુધી પહોંચે છે. કઈ વ્યક્તિ સાથે કેવી રીતે વર્તવું એનું સતત માર્ગદર્શન કુંતીને હરિરાજ સ્વામી દ્વારા મળતું રહે છે. વહેતા સમય સાથે માનવનું મન કઈ રીતે બદલાય છે એનો ખ્યાલ કુંતીના સમયે-સમયે બદલાતા ધ્યેય સાથે આવે છે. કથાની શરૂઆતમાં પુત્રને પાછો મેળવવા ઝંખતી માતા અંતમાં કૈંક બીજું જ ઝંખે છે. કુંતીની સમાંતર ચાલતી સ્વામીજી, સરલાબહેન, મણિભદ્ર અને સૂરજમલ શેઠની કથાઓ વાચકને નીરસતા અને એકધારાપણાથી બચાવે છે. એકવાર અચૂક વાંચવા જેવું પુસ્તક!!
અનોખું સ્ટોરીટેલીંગ. જીવનમાં સર્જાતાં ઝંઝાવાતો અને વખત જતાં એ તકલીફો અને ઝંઝાવાતોની દુઃખદ અસરને અધ્યાત્મ અને ફીલસુફીથી ઓછી કરવી અને તોય શસ્ત્રો હેઠાં ન મુકવા , સુખ દુઃખ, તડકી છાંયડી, માનવ મનની નબળાઈઓ,સંબંધોના અને સ્વાર્થનાં સમીકરણો, આ બધાની રોલરકોસ્ટર રાઈડ એટલે આ નવલકથા કુંતી જે સત્યઘટનાનાં મૂળ થકી પ્રગટ થઇ છે. આમ તો દરેક પાત્રો બહુ સરસ રીતે ઊંડાણથી લેખકે શબ્દોદ્વારા સજીવન કર્યા છે પણ ખાસ તો મણીભદ્ર અને હિમ્મતનાં પાત્રોની આભા અને અસર કૈક અજબ જ છે. વાંચ્યા પછી સમજાય છે કે ફિલ્મ સ્ટાર દેવ આનંદ, આશા પારેખ કે સબ ટીવીવાળા અધિકારી બ્રધર્સ અને બીજા ફિલ્મ મેકરો કેમ એમની નવલકથાઓને ફિલ્મરૂપે રજૂ કરવા ઉત્સુક રહે છે.