રામબાઈના ઓરીજીનલ ફોટોઝ || Original Photos of The Raambai

ધ રામબાઈ‘ નવલકથા એક સત્ય જીવનયાત્રાથી પ્રેરિત થઈને લખાયેલી નવલકથા હોવાથી એને વાંચીને ઘણાં ઈમેઈલ્સ અને મેસેજ આવતાં હોય છે કે વાંચકને રામબાઈના વાસ્તવિક ફોટોઝ જોવાં છે. અમુક ફોટોઝ નવલકથાના અંતમાં પ્રિન્ટ કરેલાં જ છે, પરંતુ આમેય વીસમી સદીના ફોટો હોય, ઝાંખા હોવાથી પ્રિન્ટમાં સરખાં સૂઝતાં નથી. એટલે મારી પાસે જેટલાં ફોટો હાલ ઉપલબ્ધ છે એ બધાં જ અહીં શેર કરું છું.

યાદ રહે કે આ વાર્તા અને રામબાઈ પોતે એ સમયમાં થઇ ગયેલાં જ્યારે ફોટોગ્રાફી ગામડાંના ગરીબ માણસને પરવડે નહીં. આખા જીવનમાં એક-બે ફોટો પાડેલા હોય અને એ ગજબ ઊંડું સંભારણું હોય. રામબાઈ અને વીરજીના પણ વધું ફોટો અવેલેબલ નથી. પાડેલા જ નથી. પરવડતાં નહીં હોય. એમનાં હાલ તદ્દન ખંડેર એવાં ઘર અંદરથી જેટલાં ફોટોઝ મળ્યાં છે એ બધાં જ મેં અહીં અપલોડ કર્યા છે.

આ છે આપણી ‘ધ રામબાઈ’. યુવાન વયે આ ફોટો પાડેલો હશે. કદાચ ચાલીસ વર્ષે. આ મારો સૌથી પ્રિય ફોટો છે. એનો ચહેરો, આંખો, એનાં અસ્તિત્વનું તેજ, અને મારી એમની સાથેની યાદો… જ્યારે-જ્યારે આ ફોટોને જોઉં ત્યારે રડી પડું. (જુઓ અત્યારે પણ લખતાં લખતાં…) આ એમનાં ઘરની ડેલી. અગેઇન મારું પ્રિય દૃશ્ય. રામબાઈ જીવતી ત્યારે પણ આ ડેલીએ ઉભો રહું અને મારા અંતરમાં થતું કે આ ડેલીની અંદર કોઈ જાગૃત ચેતના પોતાનો અખંડ ધૂણો નાખીને બેઠી છે. બસ એવું વાઈબ્રેશન ફીલ થતું! અને રામબાઈના પરમની પરિક્રમ્માએ ગયા બાદ પણ હું જ્યારે એનાં ખંડેર ઘર પર જાઉં ત્યારે એમ લાગે કે અંદર કોઈ જાગૃત ચેતના જીવીને ગયેલી છે. કદાચ આ અનૂભૂતિ મારા એકલાંની હશે, અથવા આ સ્ત્રીને પામનારા દરેકને થતી હશે. ઉપર જે ડેલી છે એને પકડીને ઉભેલી છે આ ભીંત. નવલકથા વાંચશો ત્યારે ખબર પડશે કે વીરજીએ આ ભીંત કેમ ચણેલી. હું અહીં કશું કહું તો એ વાર્તા-તત્વ ખોલી નાખશે. એટલું કહી શકું કે જેનાં જીવનને જોઇને વાર્તાઓ લખાતી હોય એવી સ્ત્રી અને મરદને પણ ક્યારેક થાક લાગતો હોય છે સમાજથી. આ દીવાલો એ થાકથી ચણાતી હશે. આ છે જીર્ણોદ્ધાર થયેલું મંદિર. નવલકથાનું એક ખુબ મહત્વનું પાત્ર છે. આ જગ્યા વર્ષો પહેલાં અલગ હશે. મંદિર રામબાઈના સમયમાં કેવું હશે એ ખબર નથી, પરંતુ હાલ આ આવું છે. રામબાઈની ડેલીની એકદમ સામે રસ્તાની બીજીબાજુ હજુ અડીખમ ઉભું છે. નવલકથામાં અહીં એક ઘટના બને છે. એ ચેપ્ટરનું નામ છે “અવતાર”. મને યાદ છે કે બેંગ્લોરમાં મારા ઘરની બાલ્કનીમાં બપોરે જમીને એક વાગ્યે હું એ ચેપ્ટર લખવા બેઠેલો. હું જમીને ક્યારેય ન લખું, પણ આ ‘અવતાર’ વાળી ઘટના મારી અંદર મહિનાથી આવતી ન હતી અને હું ખુબ બેચેન હતો. પણ ઓ ભાઈ…જ્યારે લખવા બેઠો, અને એ અવતારની ઘટનાને ભાળવા લાગ્યો, પછી તો લખતાં-લખતાં એવું ધ્યાન લાધી ગયું કે સતત બે કલાક હું કોઈ અજીબ વિશ્વમાં હતો, ત્યાં સંપૂર્ણપણે અંધકાર હતો અને અવતાર થઇ રહ્યો હતો, અને માનશો નહીં, પણ મને સ્થળ-કાળનું કશું જ ભાન નહીં. બે કલાકને અંતે મારી પત્ની કલ્પિતાએ મને બાજુમાં આવીને ગરમ ચાનો કપ અડાડ્યો અને હું ભાનમાં આવ્યો. જોયું તો લેપટોપની બેટરીનો ક્યારની જતી રહેલી અને મારી આંગળીઓ અભાનપણે એમ જ ટાઈપ કરતી હતી. હું એવાં ટ્રાન્સમાં જતો રહેલો કે મને મારી સાથે શું થયું એ જ ભાન ન રહ્યું. જેટલું ચેપ્ટર ટાઈપ થયેલું એ આજે પણ વાંચકોને એવાં જ ટ્રાન્સમાં ટ્રાન્સફોર્મ કરે છે. કુદરત એવું કમાલ કરે છે કે તમે લેખક મટીને માત્ર એક સાધન તરીકે સરસ્વતીને વહેવા દો તો એ તમને જાદુઈ વિશ્વોની અનૂભૂતિ કરાવે છે. હવે આપણે ડેલીમાં અંદર પ્રવેશીએ એટલે ડાબા હાથે આ (૨૦૨૩માં પાડેલ ફોટો) ટોઇલેટ અને બાથરૂમની જગ્યા છે. અહીં વર્ષો પહેલાં કશું જ ન હતું. માત્ર વિશાળ ફળિયું. દીવાલ પણ નહીં. જાજરૂ પણ નહીં. એક વૃક્ષ હતું અને એની નીચે ‘સિંહણ’ નામની ઘોડી અને ‘ગાવડી’ નામની ગાય રહેતાં. આ જે ટાંકી અને ટોઇલેટ દેખાય છે એ તો રામબાઈના પગ ચાલતાં બંધ થયેલાં એ સમયે બનેલાં હશે એવું અનુમાન છે. ફળિયામાંથી સામે ઓસરી દેખાય. ઓસરીના પગથીયા ચડો એટલે તરત ડાબી બાજુ આ ફોટોમાં છે એ રસોડું અને પાણિયારું છે. આ ફોટો તો ૨૦૨૦માં પાડેલો છે. હાલ તો રસોડું ખોલું તો અંદર ખંડેર છે. ઉપરના નળિયા ખરી ગયા છે અને ઘણો કચરો અને અમુક વાસણ પડ્યા છે. આ રસોડામાં જે અડદની દાળની વઘારની સુગંધ, એ બાજરાના રોટલાં પર હથેળીની થપાટના અવાજ, એ ચાની વરાળ… બધું જ જાણે અકબંધ લાગે. એક બારણું ખુલે ને જાણે અંદરથી આખી જીંદગી જીવતી નીકળે. ઓસરીમાં ચડો અને સીધી સામે આવે ઓરડી. એક જ ઓરડી. અંધારી. અંદર કબાટ, ખાટલો, વાસણોની કાંધી. હું જ્યારે ફોટો પાડવા ગયેલો ત્યારે અંદર ખુબ અંધારું હતું. લાઈટ ન ચાલી. એટલે અંદરના ફોટો નથી લીધા. અંદર ગયેલો ખાટલા પર ધૂળભર્યું ગોદડું પડ્યું હતું એ લઈને એને ભેંટીને હું ચૂપચાપ બેસી રહેલો. ૨૦૧૮માં જ્યારે રામબાઈ ન હતી ત્યારે હું આ રૂમમાં ગયેલો અને જાણે અચાનક રૂમ અંદર રામબાઈ જીવતી થઇ હશે અને મારા આતમમાં ઊંડી પોકાર થયેલી કે – ‘જા..તારી આ માની વાર્તા દુનિયાને કહેવી પડશે’ ઓસરીમાં રહેલી આ ઘડિયાળ હમણાં ૨૦૨૩માં હું ત્યાં ગયેલો ત્યારે જોઈ. નવલકથામાં નથી. મારી સ્મૃતિમાં જ ન હતી. આ જુના જોગી જેવી ઘડિયાળે સાચી ઘડીઓ ભાળી હશે. રામબાઈને જીવતી જોઈ શકે. આ ઘડિયાળના ડોલતાં લોલકે જોઈ હશે અલખના હિંચકે બેસીને ડોલતી રામબાઈને… ઓસરીમાં જ રહેલો ટાંકો (કબાટ). ઉપર જર્જરિત થયેલું પુસ્તક ગીતા છે. અહીં રામબાઈ અને વીરજીના કપડા પડ્યા રહેતાં. એક રેડિયો પડ્યો રહેતો. એ રેડિયો પર મેં નારાયણ સ્વામીના ભજન સાંભળેલા છે એવું ઝાંખું-ઝાંખું યાદ છે. નવલકથામાં પણ લખેલું છે. કદાચ આ જ પોઈન્ટ હશે જેનાં લીધે મને સંતવાણી અને ભજનોનો જબરદસ્ત પ્રેમ લાગ્યો. વીરજીબાપાનો યુવાન વયનો ફોટો. એમનાં ઘરે ફોટો છે એનો મેં ફોટો લીધેલો છે એટલે બ્લર દેખાય છે. કદાચ એમની ૪૫-૫૦ વર્ષની ઉંમરે લીધેલો હશે. નવલકથામાં મેં વીરજીને શોર્યવંત-ખુમારીથી છલોછલ મરદ બતાવેલ છે, જોકે વાસ્તવમાં એ ખુબ શાંત, સૌમ્ય, અને ફકીર જેવો જીવ હતાં. ખુબ પ્રેમાળ. કરુણાનો દરિયો એવો પુરુષ. રામબાઈનો વૃદ્ધાવસ્થાનો ફોટો. કદાચ ૭૦ વર્ષે હશે. એમની આંખોનું અજવાળું તો જુઓ. એનાં ચહેરાંનું નૂર. એનાં Being માં ચળકતું જિંદગીરૂપ તો જુઓ…! વીરજીદાદા એમની ગાવડી સાથે. કદાચ એ ૫૫-૬૦ વર્ષે હશે. નવલકથામાં એમની ઉંમરના પડાવ અલગ આપેલ છે. રામબાઈના પણ કાલખંડમાં પાંચ-સાત વર્ષના ફર્ક છે. ફિક્શનની જરૂરિયાતો હોય છે. આ એક આલ્બમમાંથી ક્લિક કરેલો ફોટો છે. આ શું હતું એ ખબર નથી. આમાં તો રામબાઈનો અવતાર જ કૈક અલગ છે! એની આંખે આંજેલું આંજણ. એનાં હાથમાં બે બંગડી અને પોચો. એનાં આ વર્ષોમાં તો હું જન્મેલ પણ નહીં. મેં જોયેલી રામબાઈ હંમેશા વાદળી સાડીમાં હતી. એકલી હતી. બ્રમ્હાંડને પરણેલી. વીરજીબાપાના ભાઈઓના દીકરાઓની વહું સાથે રામબાઈ. છેડે બેઠેલાં છે એ. મેં એમને હંમેશા આ સાડલામાં જ જોયેલ છે. નવલકથામાં બાકી જે બધું જ છે એ એમનાં મુખે સાંભળેલું છે, અથવા મારા માબાપે કહેલું છે, અથવા કલ્પિત કરીને ઉમેરેલું છે. નવલકથાને અંતે આ બાબતે ડીટેઇલમાં લખેલું છે. આ છે રામબાઈના નાના બહેન ‘પાનબાઈ’. પાની બહેન. એમનું અવસાન હજુ આ લખું છું એનાં ૩ દિવસ પહેલાં જ અમરેલીમાં થયું. એમનાં અંતિમ દિવસોમાં હું ત્યાં હતો ત્યારે એમનાં ઘરેથી પડેલો ફોટો છે. તેઓ પણ એકલાં હતાં.

બસ ઉપર છે એટલાં જ ફોટો અવેલેબલ છે. પુસ્તક વાંચનાર માણસને કલરફૂલ ફોટો જોઈ શકે એટલે અહીં અપલોડ કર્યા છે. ઘણાં વાંચકમિત્રો નવલકથા વાંચીને રામબાઈનું ઘર જોવાં માટે હામાપુર ગામે જતાં હોય છે, પણ એનાં લીધે ત્યાં એક જ ઓસરીએ રહેતાં બીજા લોકોને અગવડ થાય એવું મને લાગે છે. ઘણાંને હું કહેતો હોઉં છું કે બહારથી મકાન જોઇ લેવું સારું રહે જેથી અન્ય લોકોની પ્રાઈવેસી જળવાઈ રહે. આ ફોટોઝ એટલે વધું મદદરૂપ થશે.

આ ઉપરાંત મારા એક વાંચક દોસ્ત પરાગ કાનપરિયાએ પોતાની ગજબ કારીગરી વાપરીને સતત ચાર મહિનાની મહેનત પછી રામબાઈના ઘરનું મોટું મોડેલ તૈયાર કર્યું અને મને ગીફ્ટ આપ્યું. એમાં તો પરાગે રામબાઈનું ઘર રૂબરૂ જઈને પ્રોપર વિડીયોગ્રાફી કરીને પછી અદ્દલ એવું જ મોડેલ સતત ચાર મહિના સુધી મહેનત કરીને બનાવ્યું છે એનાં ફોટોઝ મુક્યા છે. મકાનના નળિયા બનાવવા માટે પરાગે ૧૧૦૦ કોકડી (દરજીના દોરાંનું ખાલી કોકડું) વાપરેલ છે!

ફોટો સાથે મકાન કેમ બન્યું એનો વીડીયો ખાસ જોજો. વિડીયો જોવાં અહીં ક્લિક કરો.

અસ્તુ!

નવલકથા એમેઝોન પર ઉપલબ્ધ છે. લિંક

નવલકથાનું ટ્રેલર અહીં મુકેલ છે. લિંક

Extra:

મારા મિત્ર રજનીભાઈએ AI ની મદદથી રામબાઈનો ફોટો પ્રોપર ક્લીયર કરી દીધો છે, પ્લસ મોર્ડન લૂકમાં રામબાઈ કેવાં લાગત એની ઈમેજ મોકલી છે.

પ્રોપર ક્લિયર ફોટો રામબાઈનું મોર્ડન વર્ઝન.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on November 15, 2023 23:02
No comments have been added yet.